December 9, 2011

વિક્રમ અકુલા સેવાના નામે મેવા

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિક્રમ અકુલાની ઓળખ ઊભી થઈ ગઈ હતી, પણ અચાનક પરિસ્થિતિ પલટાઈ. અકુલાએ સમગ્ર વહીવટ પોતાના હસ્તક કરવા કંપનીના સીઈઓને હાંકી કાઢયા.

આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિને એકદમ જ ચઢાવી દેવામાં આવે છે. પછી જ્યારે તે વ્યક્તિનો ભાંડો ફૂટે ત્યારે તેની તરત જ ટીકા શરૂ થઈ જાય છે, પરંતુ જ્યારે જે તે વ્યક્તિનો સૂર્ય ચમકતો હોય છે ત્યારે તો તેની ચોમેરથી પ્રશંસા થતી હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં બન્યો. માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રે મોટું નામ ધરાવનાર વિક્રમ અકુલાએ સ્થાપેલી કંપનીની જંગી ખોટના પગલે જ્યારે તેમની હકાલપટ્ટી કરાઈ ત્યારે તેમની બીજી બાજુ પણ બહાર આવી.

માઇક્રો ફાઇનાન્સને સાદા શબ્દોમાં સમજાવવું હોય તો મોટી બેંકો પાસેથી ઓછા વ્યાજે ધિરાણ લઈ ગ્રામ્ય ક્ષેત્રના લોકોને ઊંચા વ્યાજે નાણાં ધીરવાં. જોકે આ વ્યાજનો દર ખાનગી શરાફો કરતાં ઓછો હોય છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં આ ચલણ ખૂબ છે. આથી જ ત્યાં નોંધપાત્ર પ્રમાણમાં માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ જોવા મળે છે. અંદાજે ૧૧-૧૨ ટકાએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી ધિરાણ મેળવી ૨૦-૨૨ ટકાએ ગ્રામીણ ક્ષેત્રના લોકોની નાની જરૂરિયાત સંતોષવા તેમને ધિરાણ આપવામાં આવે છે. ખાનગી શરાફ કરતાં આ વ્યાજદર ઓછો હોવાથી ત્યાંના લોકોમાં આ પદ્ધતિ લોકપ્રિય નીવડી છે.

વિક્રમ અકુલા માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્રે અગ્રણી ગણાય છે. ૧૯૯૮માં એસ.કે.એસ. માઇક્રો ફાઇનાન્સ નામથી તેમણે એક એનજીઓ શરૂ કરી હતી. વિદેશમાં ભણેલા અને કોર્પોરેટ કલ્ચરથી પરિચિત અકુલાએ તેમની આ એનજીઓને ૨૦૦૬માં કંપનીમાં ફેરવી અને ૨૦૧૦માં તેનો પબ્લિક ઇશ્યૂ કર્યો. પબ્લિક ઇશ્યૂ યોજનારી આ પ્રથમ માઇક્રો ફાઇનાન્સ કંપની હતી. તેનો ઇશ્યૂ પણ અનેક ગણો છલકાઈ ગયો હતો. ૯૦૦ રૂપિયાની કિંમતના શેરના ભાવનું લિસ્ટિંગ પણ ઊંચા પ્રીમિયમથી થયું હતું અને એક તબક્કે તો તેનો ભાવ R ૧૪૦૦ સુધી પહોંચી ગયો હતો.

માઇક્રો ફાઇનાન્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિક્રમ અકુલાની ઓળખ ઊભી થઈ ગઈ હતી, પણ અચાનક પરિસ્થિતિ પલટાઈ. સત્તાના કેફમાં અકુલાએ સમગ્ર વહીવટ પોતાના હસ્તક કરવા કંપનીના સીઈઓને હાંકી કાઢયા. આ માટે તેમણે કંપનીના અન્ય બે ટોચના અધિકારીની પણ મદદ લીધી. આ જ બે અધિકારીઓ અકુલાની હકાલપટ્ટી માટે નિમિત્ત બન્યા એ પણ હકીકત છે. સામાન્ય રીતે કંપનીના ચેરમેનની જવાબદારી કંપનીને માર્ગદર્શન આપવાની હોય છે, પરંતુ અકુલાએ રોજબરોજનો વહીવટ પણ પોતાને હસ્તક રહે તેવું ઇચ્છ્યું. કંઈક અંશે તેઓ સફળ પણ થયા. છેવટે તેમને કંપની છોડવી પડી એ પણ હકીકત છે.

મૂળ મુદ્દો એ છે કે એનજીઓનો પાયો સેવા આધારિત હોય છે. જ્યારે મુખ્ય હેતુથી જ કોઈ વ્યક્તિ વિમુખ થઈ જાય તો શું થાય તેનું તાર્દશ ઉદાહરણ અકુલા છે. સેવાના નામે શરૂ કરેલી હાટડીમાંથી અંતે તેઓ મેવા જ મેળવવા ઇચ્છતા હતા એ સ્પષ્ટ થઈ ગયું છે. માઇક્રો ફાઇનાન્સ માટે જોઈએ એટલું ભંડોળ મળતું હોવા છતાં પબ્લિક ઇશ્યૂ યોજવાની કોઈ જરૂરિયાત નહોતી. પબ્લિક ઇશ્યૂ એ એક મૂડીવાદનું લક્ષણ છે.

સેવા કે એનજીઓને મૂડીવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અકુલા તેમના શિક્ષણનો ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને જંગી સંપત્તિ એકઠી કરવા માગતા હતા એ સ્પષ્ટ થઈ ગયું છે. તેઓ ગ્રામીણ ક્ષેત્રના જે લોકોને ધિરાણ આપતા હતા તેઓ સમાજના તદ્દન નીચલા સ્તરના - વર્ગના હતા. માત્ર વીસ-પચ્ચીસ હજાર જેવી તેમની જરૂરિયાત હતી.

ખાનગી શરાફ પાસે આટલી જ રકમ પેટે તેમને બમણી રકમ ચૂકવવી પડે. જ્યારે માઇક્રો ફાઇનાન્સ જેવી કંપનીઓ તેમને ઓછા વ્યાજદરે ધિરાણ આપે. આથી આ કંપનીઓનું ચલણ ત્યાં હતું. બાંગ્લાદેશની ગ્રામીણ બેંકના સ્થાપકનો અંત પણ અકુલા જેવો જ આવ્યો છે. આ બંને કિસ્સામાં સેવાના નામે શરૂ કરાયેલી પ્રવૃત્તિમાંથી મેવા ખાવાની ઇચ્છાને કારણે ઉમદા ગણાતી પ્રવૃત્તિનો અંત આવી ગયો. ગુજરાતની સેવા અને સેવા બેંક જેવી સંસ્થાઓ પાસેથી અકુલાએ ધડો લેવાની જરૂર હતી.

No comments:

Post a Comment