October 18, 2011

LIC, HDFC લાઇફ ઇન્શ્યોરન્સને પાંચ-પાંચ લાખનો દંડ

વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ સરકાર સંચાલિત લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) અને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સને નાણાકીય વર્ષ 2008-'09 માં ગ્રામીણ અને સામાજિક ક્ષેત્રની જવાબદારીઓને પહોંચી ન વળવા બદલ પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો છે તેવી માહિતી સંસદમાં શુક્રવારે આપવામાં આવી હતી.

નાણામંત્રી પ્રણવ મુખરજીએ શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2008-09 દરમિયાન ગ્રામીણ ક્ષેત્રના લક્ષ્યાંકો પૂરા ન કરવા બદલ એલઆઇસી અને એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યોરન્સને ઇરડાએ દંડ કર્યો છે. 25 ટકાના લક્ષ્યાંક સામે એલઆઇસી ગ્રામીણ ક્ષેત્રમાં 24.27 ટકા પોલિસીઓ આપી શકી હતી જ્યારે 19 ટકાના લક્ષ્યાંક સામે એચડીએફસી લાઇફ ફક્ત 12.85 ટકા પોલિસીઓનું જ વિતરણ કરી શકી હતી તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી નારાયણ મીનાએ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમને પ્રીમિયમ સ્વરૂપે થતી આવક કરતાં વધારે રકમના હેલ્થ ઇન્શ્યોરન્સ દાવાની ચુકવણી કરી છે અને 10 ટકા જેટલા એક્વિઝિશન ખર્ચ અને 25 ટકા કરતાં વધારે મેનેજમેન્ટ ખર્ચને ગણીએ તો આ રકમ હેલ્થ પોર્ટફોલિયો માટે કુલ ખર્ચ પ્રીમિયમની આવક કરતાં વધીને 140 ટકા થઈ જાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોને તાર્કિક કરવા અને વાજબી ખર્ચે હેલ્થકેર સુવિધા પૂરી પાડવાના તથા સાથેસાથે હેલ્થકેરના વધતા ખર્ચને નિયંત્રણમાં રાખવા વીમા કંપનીને મદદરૂપ થવાના પ્રયાસમાં જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ચાર મહાનગરોમાં હોસ્પિટલોની પ્રેફર્ડ પ્રોવાઇડર નેટવર્ક (પીપીએન) ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તેવું તેમણે કહ્યું હતું.

આ શહેરોમાં દિલ્હી , મુંબઈ , ચેન્નાઈ અને બેંગલોર સામેલ છે. અત્યારે પીપીએન નેટવર્કમાં 449 હોસ્પિટલો સામેલ છે , જેમાં 163 હોસ્પિટલો દિલ્હીમાં , 121 હોસ્પિટલો મુંબઈમાં , 84 હોસ્પિટલો ચેન્નાઈમાં અને 81 હોસ્પિટલો બેંગલોરમાં છે. આ નેટવર્કમાં વધુ હોસ્પિટલો જોડાઈ રહી છે તેવું તેમણે ઉમેર્યું હતું. અન્ય એક પ્રશ્નનો જવાબ આપતાં મીનાએ કહ્યું હતું કે એરલાઇન ઉદ્યોગે તેની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશને આ બાબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરી છે.

No comments:

Post a Comment