October 18, 2011

HPCL એ કિંગફિશરને ઈંધણ આપવાનું બંધ કર્યું

દેશની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપની એચપીસીએલે વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સ માટે ઈંધણનો પુરવઠો ફરી બંધ કરી
દીધો છે. તેનાથી દેશની બીજા ક્રમની સૌથી મોટી એરલાઇન્સની વિમાન સેવા ગુરુવારે સાંજે પ વાગ્યાથી ખોરવાઈ ગઈ હતી.

આમ , એચપીસીએલએ બે મહિનામાં બીજી વખત કિંગફિશરનાં વિમાનોને ઈંધણ આપવાનું બંધ કર્યું છે , જોકે કિંગફિશરને દેશભરમાં ઈંધણ આપવાનું બંધ કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અગાઉ જુલાઈમાં મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પરથી કિંગફિશરને ઈંધણ આપવાનું એચપીસીએલએ બંધ કર્યું હતું.

કિંગફિશર દરરોજ 52 ડોમેસ્ટિક્સ સ્થળો પરથી 370 ફ્લાઇટનું ઉડ્ડયન કરે છે. એચપીસીએલે ઈંધણના બિલ તરીકે કિંગફિશર પાસેથી આશરે રૂ. 600 કરોડ લેવાના બાકી છે. એરલાઇન અને એચપીસીએના અધિકારીઓએ આ મુદ્દાના ઉકેલ માટે મંત્રણા કરી હતી.

એચપીસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે , કિંગફિશર અને એચપીસીએલ વચ્ચે સમજૂતી માટે મંત્રણા ચાલે છે. આ કટોકટીનો ઉકેલ આવતાં કેટલો સમય લાગશે તે અમે જાણતા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એચપીસીએલએ ગયા મહિને કિંગફિશરને ચેતવણી આપી હતી કે જો એરલાઇન્સ બાકી નાણાંની ચુકવણી નહીં કરે તો એચપીસીએલ બેન્ક ગેરંટી વટાવશે. તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી કિંગફિશર કાર્યકારી મૂડીના જરૂરિયાત પૂરી કરવા નાણાં મેળવવાના પ્રયાસ કરી રહી છે. પ્રમોટરે કંપનીમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 500 કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ તે દેખીતી રીતે પૂરતું નથી.

કિંગફિશરના માથે કુલ રૂ. 4,000 કરોડનું દેવું છે અને તેના ઓડિટર્સે તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે જો પ્રમોટર્સ નાણાં ઊભાં કરી શકશે તો જ આ કંપની ટકી શકશે. કિંગફિશરને બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ. 2,000 કરોડ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

ઉદ્યોગનાં વર્તુળોમાં એવી અટકળો છે કે ફોર્મ્યુલા વન ટીમ ફોર્સ ઇન્ડિયાના હિસ્સાનું સહારને વેચાણ મારફત ઊભાં થયેલાં નાણાંને માલ્યા કિંગફિશરમાં લાવે તેવી શક્યતા છે. માલ્યાએ ફોર્સ ઇન્ડિયાનો 42.5 ટકા હિસ્સો 10 કરોડ ડોલરમાં વેચ્યો છે.

No comments:

Post a Comment