October 24, 2011

નવા ટેકઓવર નિયમોથી કોર્પોરેટ રેડનો વધતો ખતરો

લિસ્ટેડ કંપનીઓ માટે રવિવારથી નવા ટેકઓવર નિયમો અમલમાં આવ્યા છે જેનાથી લગભગ બારમા ભાગની લિસ્ટેડ કંપનીઓ માટે કોર્પોરેટ રેડનો ખતરો પેદા થયો છે. આ ઉપરાંત આવી કંપનીઓના પ્રમોટર્સે પણ પોતાનો હિસ્સો વધારવા ઘણી મોટી રકમ ખર્ચવી પડશે તેમ નિષ્ણાતોનું કહેવું છે.

જોકે , નવા નિયમોથી રોકાણકારોને છૂટો દોર મળશે. તેઓ ઓપન ઓફર ટ્રિગર કર્યા વગર કંપનીમાં 25 ટકા સુધી હિસ્સો ખરીદી શકશે જે અગાઉની ટોચમર્યાદાથી 10 ટકા વધુ છે.

ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપના અભ્યાસ પ્રમાણે બીએસઇ ખાતે લિસ્ટેડ 5082 કંપનીઓમાંથી 460 કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો 25 ટકાથી ઓછો છે. આ યાદીમાં ઇન્ફોસિસ , માઇન્ડટ્રી , રેડિંગ્ટન ઇન્ડિયા , ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ , નાગાર્જુન કન્સ્ટ્રક્શન , મોઝર બેર અને પીટીસી ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

ઓછામાં ઓછા એક ચતુર્થાંશ શેરોનું હોલ્ડિંગ પ્રમોટર્સ માટે અનિવાર્ય છે કારણ કે તેનાથી તેઓ નવા નિયમ હેઠળ દર વર્ષે પાંચ ટકા હિસ્સો વધારી શકશે. કંપનીનાં નામ બદલવાથી લઈને મૂડી એકત્ર કરવા સુધીની મહત્ત્વની બિઝનેસ આઇટમ્સ સ્પેશિયલ ઠરાવમાં આવે છે.

કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કના એમ એન્ડ એના સિનિયર ઇડી સૌરવ મલિકે જણાવ્યું હતું કે , લિસ્ટેડ કંપનીમાં પ્રમોટર્સનું નીચું શેરહોલ્ડિંગ ચિંતાનું કારણ છે કારણ કે તેનાથી કંપની સામે જોખમ સર્જાય છે.

25 ટકાથી ઓછું ઇક્વિટી નિયંત્રણ ધરાવતા હોય અને સંસ્થાકીય રોકાણકારોનો ટેકો ન હોય તેવા પ્રમોટર્સ સામે ટેકઓવર ખતરો વધ્યો છે તેમ બીએમઆર એડ્વાઇઝર્સના પાર્ટનર (એમ એન્ડ એમ) વિવેક ગુપ્તાએ જણાવ્યું હતું.

કાનૂની કંપની જે સાગર એન્ડ એસોસિયેટ્સના પાર્ટનર સોમશેખર સુંદરેશને જણાવ્યું હતું કે , નવા નિયમન પ્રમાણે લિસ્ટેડ કંપનીમાં 25 ટકાથી ઓછા વોટિંગ રાઇટ્સ ધરાવતી કંપનીએ 25 ટકાનો હિસ્સો વટાવતી વખતે 26 ટકાની ઓપન ઓફર કરવી પડશે.

જોકે 25 ટકાથી ઓછો પ્રમોટર્સનો હિસ્સો ધરાવતી માંદી કંપનીઓ અને બેન્કોને વિવિધ કારણોથી ટેકઓવરનો ખતરો નથી. નવા ટેકઓવર નિયમો ઘડનારી સેબીની સમિતિનો હિસ્સો રહેલા સુંદરેશને જણાવ્યું હતું કે , 25 ટકાથી ઓછું હોલ્ડિંગ ધરાવતી બેન્કો કોર્પોરેટ રેડ માટે લક્ષ્યાંક નહીં બને કારણ કે ધિરાણકારો માટે અલગ પ્રકારના નિયમન હોય છે અને મધ્યસ્થ બેન્કની મંજૂરી વગર કોઈ રોકાણકાર પાંચ ટકાથી વધુ હિસ્સો ખરીદી શકતા નથી.

તેમણે જણાવ્યું હતું કે , આરબીઆઇ આવી મંજૂરી આપે તેવી શક્યતા નથી . બેન્કમાં પાંચ ટકાથી વધુ હિસ્સો ધરાવતા રોકાણકારો તે સ્તરથી નીચે જાય તેવી શક્યતા છે.

No comments:

Post a Comment