October 24, 2011

2G સ્પેક્ટ્રમ કેસમાં કોર્ટે નવો વળાંક આપ્યો

ટુજી કૌભાંડ પર સુનાવણી કરી રહેલી સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ કોમ્યુનિકેશન મંત્રી એ રાજા અને ભૂતપૂર્વ ટેલિકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરા સામે 2008 માં સસ્તા ભાવે મોબાઇલ પરમિટ વેચીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનો કોઈ આરોપ ન કરીને કેસને એક મોટો વળાંક આપ્યો છે.

ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડની ફરિયાદનો મુખ્ય આધાર તે હતો કે રાજા અને અન્ય જાહેર સેવકોએ ગેરલાયક કંપનીઓને મફતના ભાવે મોબાઇલ પરમિટો આપીને સરકારી તિજોરીને જંગી નુકસાન કર્યું છે.

આરોપીઓએ સરકારી તિજોરી પર મોટી લૂંટ ચલાવી હોવાની લોકોના મનમાં છાપ ઊભી થઈ હતી. નેશનલ ઓડિટરે જણાવ્યું હતું કે રાજાના પગલાને કારણે સરકારી તિજોરીને રૂ. 1.76 કરોડનું નુકસાન થયું છે. ઓડિટરના અહેવાલ બાદ રાજાએ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન ( CBI) એ ચાલુ વર્ષની શરૂઆતમાં તેણે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે સરકારી તિજોરીને રૂ. 30,000 કરોડનું નુકસાન થયું હતું. એનફોર્સ ડાયરેક્ટરેટે અંદાજ મૂક્યો હતો કે સરકારી તિજોરીને રૂ. 50,000 કરોડનું નુકસાન થયું હતું.

પરંતુ જજ ઓ પી સૈનીએ શનિવારે આપેલા તેમના 500 પાનાંના આદેશમાં સરકારી તિજોરીને કથિત નુકસાનનો ઉલ્લેખ કર્યો ન હતો અને કેસના આધારને ગુનાઇત વિશ્વાસ ભંગ અને છેતરપિંડીમાં ફેરવ્યો હતો. જો આ ગુનામાં દોષિત ઠરે તો આરોપીઓને સાત વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે.

જજ ઓપી સૈનીએ આદેશમાં જણાવ્યું હતું કે , પીસી એક્ટની કલમ 13(1)( ડી) તે સ્પષ્ટ કરે છે કે સરકારી તિજોરીને નુકસાન આ ગુનામાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે જરૂરી આવશ્યક શરત નથી. છેતરપિંડી કરવા માટે ગુનાઇત કાવતરું અથવા ગુનાઇત અપકૃત્યના ગુના માટે નુકસાન અથવા નુકસાનનો ચોક્કસ આંક આવશ્યક જરૂરિયાત નથી.

સૈનીએ આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે , નુકસાન નક્કી કરવું શક્ય ના હોય અથવા સરકારી તિજોરીને કોઈ આર્થિક નુકસાન થયું છે તેમ કહેવું શક્ય ના હોય શકે પરંતુ એવું સ્પષ્ટ જણાય છે કે સત્તાના દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર અથવા ગેરકાયદે રસ્તા દ્વારા જાહેર સેવક અથવા ખાનગી વ્યક્તિઓએ ગેરકાયદે આર્થિક લાભ મેળવ્યા છે .

રાજાના વકીલ સુશીલ કુમારે જણાવ્યું હતું કે , પાયાનો એક ભાગ અદશ્ય થયો છે . આ કેસ પ્રજાના રૂ . 1.76 લાખ કરોડની લૂંટ કરવાનો હતો . આ આરોપોને કારણે મારા અસીલો મહિનાઓથી જેલમાં છે . આરોપ ઘડવા પર આદેશો દર્શાવે છે કે સીબીઆઇએ પ્રજાને મૂર્ખ બનાવી છે . તેમણે આવા દાવા સાથે પ્રજાના મોટા સમુદાયોને પારો ચડાવ્યો છે .

કોર્ટે 2008 ની શરૂઆતમાં મોબાઇલ પરમિટ આપવામાં વહેલા તે પહેલાની નીતિ અપનાવવા માટે કોમ્યુનિકેશન મંત્રાલયને ક્લીનચિટ આપી છે . આ બાબત સરકારના વલણને મજબૂત બનાવે છે કે કૌભાંડ માટે નીતિ જવાબદાર ન હતી અને મોબાઇલ પરમિટ આપવામાં માત્ર ગુનાઇત ભાગીદારી અને ખામીઓ જ હતી .

જજ ઓ પી સૈનીએ તેમના આદેશમાં જણાવ્યું હતું કે , વધુમાં નીતિ એક બાબત છે અને તેના અમલ દરમિયાન તેને ઉથલાવવી બીજી બાબત છે . બંને બાબતોને એકસાથે જોડી શકાય નહીં . તાત્કાલિક કેસમાં નીતિ વિવાદમાં નથી . કાનૂની કાર્યવાહી આરોપીઓ દ્વારા અપ્રામાણિક ઇરાદા સાથે નીતિને ઉથલાવવા અંગેની છે.

No comments:

Post a Comment