August 20, 2011

આપણે ઈતિહાસને રાજા-મહારાજાઓની લડાઇઓ અને શાસનના સ્વરૂપમાં જ ભણ્યા છીએ. તેથી આ રીતનો સામાજિક ઈતિહાસ બહુ લખાયો નથી અને ગુજરાતમાં તો જરાયે લખાયો નથી. માત્ર વીસમી સદી અને એકવીસમી સદીના એક દાયકાનો ટૂંકો ઈતિહાસ જોઇએ તો પણ કુટુંબના વિવિધ કાર્યો કરવા માટે નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવતી જાય છે અને તે બધી સંસ્થાઓ સ્વાયત્ત અને પ્રોફેશનલ બનતી જાય છે તે ખ્યાલ આવશે. હજી હમણાં સુધી પ્રસૂતિ એ કુટુંબનું કાર્ય ગણાતું.

હવે પ્રસૂતિનું કાર્ય નર્સિંગ હોમ્સ અથવા પ્રસૂતિગૃહોએ લઇ લીધું છે. નાનાં બાળકોનો ઉછેર કુટુંબમાં થતો. હવે ત્રણ મહિનાની બાળકીને ઘોડિયાંઘરમાં મૂકીને માતા કામે જાય છે. પહેલાં બહારગામ જનારા લોકો જે તે ગામમાં પોતાનાં સગાંને ત્યાં ઉતારો કરતાં. હવે હોટલોમાં ઉતારો કરે છે. પહેલાં બહારનું ભોજન વજર્ય ગણાતું. હવે હોટલમાં જમવા જવામાં ગૌરવ મનાય છે.

હવે સમય આવ્યો છે વૃદ્ધાશ્રમો દ્વારા વૃદ્ધોના રખરખાવનો. ગુજરાતમાં ૧૮૨૦માં પ્રથમ અશકતાશ્રમ શરૂ થયેલો. માંદા, અનાથ, અશકત કે ગરીબ લોકોને ભોજન અને રહેઠાણ આપવાના સ્વરૂપે વૃદ્ધાશ્રમો શરૂ થયેલા. શરૂમાં સમાજના નબળા વર્ગના લોકો જ આવી સંસ્થાઓમાં રહેતા. હવે ઉત્ક્રાંતિના તબક્કામાં વૃદ્ધોના રખરખાવનું કામ કુટુંબ પાસેથી નીકળી જઇને વૃદ્ધાશ્રમો પાસે ગયું છે. સન ૨૦૦૦માં ગુજરાતમાં ૫૦ વૃદ્ધાશ્રમો હતા.

એક દાયકા બાદ આ સંખ્યા વધીને ૧૮૦ થઇ છે. હવેના વૃદ્ધાશ્રમો પૈસા લઇને વૃદ્ધોને ગૌરવપૂર્ણ રીતે જીવવાની સંસ્થા છે. ભોજન અને રહેઠાણ ઉપરાંત મનોરંજન, ધર્મ, સ્વાસ્થ્ય, રમતગમત અને પ્રવાસનાં કાર્યો પણ થાય છે. ઘરે એકલો પડેલો વૃદ્ધ અહીં સાથીદારો સાથે મોજમસ્તીથી રહે છે. લાગણીથી વિચારવાથી સારું કાવ્ય કે નવલકથા લખી શકાય. વૃદ્ધોના રખરખાવની સમસ્યા ન ઉકેલી શકાય.

No comments:

Post a Comment