August 20, 2011

ઘણા સમય પહેલાંની વાત છે. રાજપુર ગામમાં એક વૃદ્ધ ધોબી એકલો રહેતો હતો. તેના પરિવારમાં એકમાત્ર ખચ્ચર સિવાય કોઇ ન હતું. ખચ્ચર ઘણા સમયથી તેની સાથે રહેતું હતું. તે પણ માલિકની જેમ ઘરડું થઇ ગયું હોવાથી કોઇ કામમાં આવતું ન હતું. વૃદ્ધ ધોબી હવે ખચ્ચરનો ભાર તે ઉઠાવી શકતો નહોતો.એક દિવસ ખચ્ચર ગામની ગલી ભૂલી જતાં બીજી કોઇ ગલીમાં વળી ગયું અને પાણીથી સુકાઇ ગયેલા કૂવામાં જઇને પડ્યું. ખચ્ચરની બૂમો સાંભળીને તેનો માલિક ત્યાં પહોંચી ગયો. તેણે જોયું કે, ખચ્ચરને કૂવામાંથી કાઢવું સરળ નથી. ત્યાં જ ધોબીના મનમાં એક ખરાબ વિચાર આવ્યો કે, આમેય આ ખચ્ચર કોઇ કામનું રહ્યું નથી, તો એને અહીં જ દફનાવી દઉં.

તેણે કૂવામાં માટીનો ઢગલો કરવાનું શરૂ કર્યું. કૂવાની અંદર રહેલા ખચ્ચરને આ જોઇને લાગી આવ્યું. તેના ઉપર થઇ રહેલા માટીના ઢગલાંથી તેના હાથ-પગ ઢીલા થઇ ગયા. તેને મનોમન વિચારી લીધું કે હવે તે બચશે નહીં, પણ ત્યારે જ તેના મગજમાં એક ઝબકારો થયો. ખચ્ચરે તેની આજુબાજુ થઇ રહેલા માટીના ઢગલા ઉપર ચડીને ઉપરની તરફ જવા પ્રયત્ન કરવા લાગ્યો. એ દરમિયાન એને ઈજા પણ થઇ, છતાં પીઠ ઉપર પડી રહેલાં માટીના ઢગલામાંથી આગળ વધતો ગયો. આમ કરતાં કરતાં છેવટે તે કૂવામાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો. પોતાની ઉપર આવેલ સંકટનો સામનો કરી જીવ બચાવ્યાનો ખચ્ચરને આનંદ હતો.

બોધ: જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ તેમાં હાર ન માનવાથી આખરે સફળતા પ્રાપ્ત થાય છે.

No comments:

Post a Comment