August 18, 2011

આપણે જન્મીએ ત્યારથી મરીએ ત્યાં સુધીમાં શરીર અને મન સતત બદલાતાં રહેતાં હોય છે, તો પછી પહેલેથી છેલ્લે સુધી, સળંગ, સ્થિર, એકધારું એવું શું કશું જ નથી? છે. એ છે જીવ, ધ લાઈફ. એને આત્મા કહો, ચેતના કહો કે બીજું જે કંઈ પણ કહો, હું એને જીવ તરીકે ઓળખવું વધુ પસંદ કરું છું, કારણ કે જીવ એ એકદમ સીધોસાદો, ભાર વિનાનો શબ્દ છે. જીવ સ્થિર છે, સળંગ છે. આપણે ઊંઘી જઈએ ત્યારે પણ જીવ તો હોય જ છે. મન સળંગ નથી. એ રાત્રે ઠપ્પ થાય, ઉંમર સાથે બદલાતું જાય, એ બાળક-યુવાન-વૃદ્ધ થાય. પણ જીવ તો એનો એ જ.

એ સ્થિર જીવ જ્યાં સુધી ટકે ત્યાં સુધી જીવન છે. મતલબ આપણા જીવનના પાયામાં જ સ્થિરતા છે. આપણે ગમે તેટલું નવું નવું શરૂ કરીએ, ગમે તેટલા આરંભો કરીએ, જીવ તો જાણે આખા નાટકના તખ્તા જેવો સ્થિર ટકે છે. ઉપર ખેલ ચાલતા રહે. મંચ ચૂપચાપ ઊભો રહે. હવે જો આ વાત બરાબર સમજાઈ જાય કે હું કંઈ શરીર કે મન જ નથી, હું શરીર-મન-જગતના આખા ખેલને આધાર પૂરો પાડતો મંચ છું, તો કુછ બાત બને. તમે કહેશો: આવું સમજાય તેથી ફાયદો શું? ફાયદો છે. ફાયદો સૂક્ષ્મ છતાં પ્રચંડ છે.

No comments:

Post a Comment