August 20, 2011

જે માણસ જાતને ભૂલે છે તે જગતને પોતાની અંદર સમાવી લે છે. રાજેન્દ્ર શાહની પંક્તિ છે તે જુદા સંદર્ભમાં યાદ આવે છે: નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે. જાતને ભૂલી જવી એ એક અપૂર્વ અવસર છે. આપણે આપણી જ સભાનપણે કે અભાનપણે આત્મશ્લાઘા કરતા હોઈએ છીએ. જો આપણે આપણું આપણાપણું જાળવી રાખીએ તો એ આપણાપણામાં જગત વિસ્તરી શકે. અહીં અહમનો ઉંબરો ઓળંગવાની વાત છે. અહમ્ને ઓળંગીએ તો ક્ષિતિજનો વિસ્તાર થાય. કોઈ રંગદ્વેષ નહીં, કોઈ રાગદ્વેષ નહીં, હારજીતની પરિભાષા નહીં, કોઈનો છેદ ઉડાડવાનો નહીં. સમદ્રષ્ટિ રાખીને બધું જ સમતોલપણે જોવું એના જેવી રિળયામણી ઘડી કઈ?

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ-જગદીશ જોશીની આ પંક્તિ યાદ આવે છે. બીજમાંથી વૃક્ષ થાય એ એક ઘટના છે. વૃક્ષ એનાં મૂળિયાં ઊંડાં હોય એ ટાઢ અને તાપ વેઠી શકે છે અને છતાં એની ડાળે ડાળે ફૂલ અને પાંદડાં હોય છે અને ન દેખાતી પણ પૂર્ણપણે અનુભૂતિ આપતી સુગંધ હોય છે. કોઈ દિવસ કોઈ ઓરડીમાં પૂરેપૂરી એકલતા અનુભવી છે? કોઈ તિરાડમાંથી પણ કિરણ ન પ્રવેશી શકે એવો ગૂઢ અને ગાઢ અંધકાર હોય ત્યારે અચાનક પ્રકાશ પ્રગટે એ અપૂર્વ ઘટના નહીં તો બીજું શું કહેવાય? માણસના પોતાના જ હાથમાં ચમત્કાર સર્જવાની શક્તિ છે.

No comments:

Post a Comment