August 20, 2011

સંબંધ બહુ નાજુક હોય છે. એને જાળવવો પડે છે. એનું જતન કરવું પડે. પણ સંબંધની સાથે અપેક્ષા સંકળાય છે ત્યારે સંબંધ જીવલેણ થાય છે. માત્ર લોહીના સંબંધ નહીં માત્ર સ્વાર્થના સંબંધ નહીં પણ કોઈ પણ કારણ વિના કોઈપણ હેતુ વિના કોઈને આવકારવા અને પોતાના કરવા એ એક અપૂર્વ ઘટના છે. જીવન એટલે ગુલાબનો રસ્તો નહીં એમાં તો ઝાડી-ઝાંખરા હોય, કાંટાઓ હોય, બધું જ હોય. બધું અનુકૂળ ન હોય અને છતાંયે તમે જે રસ્તા પર ચાલો છો એ રસ્તાને પૂરેપૂરો પ્રેમ કરી શકો અને આગની સાથે રમી શકો તો અપૂર્વ ઘટના ઘટે. જે પંથ છે એ તમારી લગનીનો પંથ છે અને જ્યાં સુધી લગનીનો અગ્નિ પ્રજવલિત ન થાય ત્યાં સુધી આવી કોઈ અપૂર્વ ઘટના બને નહીં. આ ગઝલની સાથે ગઝલના સ્વરૂપ તરીકે માણવા માટે ખલીલ ધનતેજવીની ગઝલ વાંચો.

આગમન તારું સતત તાજી હવા જેવું છે
મારું હોવાપણું ટમટમતા દીવા જેવું છે
મનની મિરાત સંબંધોમાં હવે ક્યાંય નથી
ચાહવું, મળવું બધું દંતકથા જેવું છે
હું દિમાગોનું નહીં દિલનું કહ્યું માનું છું
દિલનું ફરમાન પયગંબર કે ખુદા જેવું છે
કોઈ પણ સત્ય સરળતાથી ગળે ના ઊતરે સાચનું કામ સદા કડવી દવા જેવું છે
કોઈનો પ્રેમ ન હો, ક્યાંય કોઈ મિત્ર ન હો
એ જીવન મૃત્યુથી ભૂંડું છે, સજા જેવું છે
એવું શું છે જે મુસીબતમાં બચાવે છે મને
એ ગમે તે હશે પણ માની દુવા જેવું છે
સેંકડો પ્રશ્ન છુપાયાં છે બખોલોમાં હજી
દિલ આ નાનકડું પહાડોની ગુફા જેવું છે
હા ખલીલ, આજે પણ ધનતેજ યાદ આવે છે દિલ હજી કે છે કે
ક્યારેક જવા જેવું છે

No comments:

Post a Comment