November 29, 2011

ગુજરાતમાં સોલર પ્રોજેક્ટ ડેવલપર્સને સમયમર્યાદામાં રાહત નહીં

ગુજરાત સરકારે સોલર પાવર પ્રોજેક્ટ ડેવલપર્સને 31 ડિસેમ્બર 2011 પહેલાં તેમના પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવા માટે કડક સંદેશો મોકલ્યો છે.

80 સોલર પ્રોજેક્ટ ડેવલપર્સમાંથી ઓછામાં ઓછા ત્રણ ડેવલપર્સે ડેડલાઇન લંબાવવાની માંગ સાથે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (જીઇઆરસી)નો સંપર્ક કર્યો હતો.

2009 માં રાજ્યની ટોચની વીજ કંપનીએ 80 ડેવલપર્સ સાથે આગામી 25 વર્ષ માટે 950 મેગાવોટના પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા.

એગ્રીમેન્ટ મુજબ , ડેવલપરોએ તેમના પ્રોજેક્ટ નિર્ધારિત ડેડલાઇન , કે જે ચાલુ વર્ષના અંતે પૂર્ણ થાય છે , તેમાં કાર્યાન્વિત કરવાના રહેશે અથવા મેગાવોટ દીઠ દૈનિક રૂ. 10,000 નો દંડ ચૂકવવો પડશે. રોકાણકારોને નવી સોલર પાવર ટેરિફપ્રથા મુજબ વળતર પણ મળશે જે વર્તમાન ટેરિફ માળખા કરતાં ઓછી આકર્ષક છે.

રોકાણકારો ટાઇટલ ક્લિયર જમીન , લોન વહેંચણી અને ટ્રાન્સમિશન નેટવર્કના અભાવને પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવામાં થતા વિલંબ માટે જવાબદાર ગણાવી રહ્યા છે. મોઝર બેર , લેન્કો , કિરણ એનર્જી , જીએમઆર , સન એડિસન , અદાણી પાવર અને એમ્કો સહિતના ડેવલપરો ગુજરાતમાં સોલર પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત કરવા રૂ. 15,000 કરોડનું રોકાણ કરી રહી છે.

ગયા સપ્તાહે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તમામ સોલર પ્રોજેક્ટ ડેવલપર્સ અને સોલર એનર્જી એસોસિયેશન ઓફ ગુજરાતના ચેરમેન પ્રણવ મહેતાને એક પત્ર લખ્યો હતો.

જેમાં રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે સોલર પાવર પ્રોજેક્ટ ડેવલપરોએ નિર્ધારિત ડેડલાઇનની પહેલાં તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા તાત્કાલીક પગલાં લેવાં જોઈએ અને ડેડલાઇન લંબાવવા માટે આશા ના રાખવી જોઈએ.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નાયબ સચિવ પી એલ પંચાલ દ્વારા મહેતાને સંબોધન કરાઈને લખાયેલા પત્રમાં જણાવાયું હતું કે , વિવિધ સ્રોત દ્વારા અમારી જાણમાં આવ્યું છે કે તમે ગુજરાત સોલર પાવર પોલિસી- 2009 હેઠળ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરેલા અનેક સોલર પાવર ડેવલપરોને ખોટી ખાતરી આપી રહ્યા છો કે ગુજરાત સરકાર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવા માટેની ડેડલાઇન ઓછામાં ઓછા ત્રણ મહિના લંબાવે તેવી શક્યતા છે.

અમે આશા રાખીએ છીએ કે તમે એક વિદ્વાન અને જાણકાર વ્યક્તિ તરીકે આવી અનિચ્છનીય પ્રવૃત્તિમાં સામેલ થશો નહીં.

નાયબ સચિવે સોલર પ્રોજેક્ટ ડેવલપર્સ , જીયુવીએનએલ , જીઇઆરસી , ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીને પણ અન્યોની સાથે નકલ મોકલી છે.

પંચાલે સોલર પ્રોજેક્ટ ડેવલપર્સ સાથે કરેલા પત્રવ્યવહારમાં જણાવાયું હતું કે , પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં નક્કી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ કોઈ પણ ડેવલપરે મોડામાં મોડા 31 ડિસેમ્બર 2011 પહેલાં સોલર પાવર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવું ફરજિયાત છે. જીયુવીએનએલ સાથે થયેલા પીપીએમાં નક્કી કરવામાં આવેલી શરતો અમલી રહેશે અને તેનો ખરા અર્થમાં અમલ થશે.

No comments:

Post a Comment