October 10, 2011

નાણામંત્રાલય નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (એનએસએસએફ)માં સુધારા અમલમાં મૂકવાની તૈયારીમાં હોવાથી પોસ્ટ ઓફિસની યોજનાઓમાં બચત કરનારાઓને વધુ વળતર મળશે.

મંત્રાલયે ઉચ્ચસ્તરીય પેનલની ભલામણો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે જેણે વ્યાજદરને માર્કેટ સાથે સાંકળવા , નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (રાષ્ટ્રીય બચતપત્રો)ના સમયગાળામાં ઘટાડો કરવા અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડની રોકાણમર્યાદા વધારવાની ભલામણ કરી છે.

મોટા ભાગની બેન્કો એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.25 ટકા વ્યાજ આપે છે જ્યારે પોસ્ટ ઓફિસમાં એક વર્ષની ડિપોઝિટ પર માત્ર 6.25 ટકા વ્યાજ મળે છે. બેન્કના સેવિંગ ખાતામાં રહેલાં નાણાં પર ચાર ટકા વ્યાજ ચૂકવાય છે જ્યારે પોસ્ટના બચત ખાતા માટે વ્યાજદર માત્ર 3.5 ટકા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શ્યામલ ગોપીનાથના અધ્યક્ષપદ હેઠળ એનએસએસએફે જૂનમાં પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર વ્યાજદર અડધાથી એક ટકા સુધી વધારવા દરખાસ્ત કરી છે. પેનલે પોસ્ટ ઓફિસના બચત ખાતાનો વ્યાજદર પણ અડધો ટકો વધારીને ચાર ટકા કરવાની ભલામણ કરી છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય બચતપત્રની મુદત એક વર્ષ ઘટાડીને પાંચ વર્ષ કરવા તથા પીપીએફમાં વાર્ષિક યોગદાનની રકમ રૂ. 70,000 થી વધારીને રૂ. એક લાખ કરવા કહ્યું છે.

રાજ્યો તેના વાર્ષિક ખર્ચને ફાઇનાન્સ કરવા એનએસએસએફનો 80 ટકા હિસ્સો ઉપયોગમાં લઈ શકે છે. 9.5 ટકા વ્યાજદર સાથે 25 વર્ષની લોન માટે ફંડ ઉપલબ્ધ કરાવાય છે. રાજ્યો બજારમાંથી જે દરે લોન મેળવે છે તેના કરતાં આ ઊંચો દર છે.

પેનલની દરખાસ્તોથી રાજ્યોના ઋણ પર અસર થતી હોવાથી નાણામંત્રાલયે આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત શરૂ કરી હતી. આ ચર્ચા સમાપ્ત થઈ છે અને 60 દિવસની અંદર સમિતિની ભલામણો અમલમાં આવે તેવી શક્યતા છે.

એક અધિકારીએ કહ્યું હતું કે , મોટા ભાગનાં રાજ્યો એનએસએસએફના સુધારા અંગે ઘણા હકારાત્મક છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ પગલાંથી રોકાણકારો ફરી ટપાલ ખાતાની નાની બચત યોજનાઓ તરફ આકર્ષાશે.

વેલ્યૂ રિસર્ચના સીઇઓ ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે , આ સારું અને તાર્કીક પગલું છે. અત્યારની સ્થિતિમાં લોકો નાની બચત યોજનાઓ તરફ વળશે કારણ કે તેમાં નિશ્ચિત વળતર મળે છે અને તે સૌથી વધુ સુરક્ષિત છે.ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં રોકાણકારોએ નાની બચત યોજનાઓમાંથી રૂ. 26,000 કરોડ ઉપાડ્યા હતા.

એનએસએસએફમાંથી આટલા મોટા પ્રમાણમાં ઉપાડ ચાલુ રહેશે તો બેલેન્સ ઘટશે અને સરકારે નાણાં ઉમેરવા પડશે. કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે એનએસએસએફના સુધારાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારને ફાયદો થશે.

મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડી કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , ઋણના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય બંનેને લાભ છે. છેલ્લા કેટલાક સમયથી નાની બચતમાં મૂડીપ્રવાહ ઘટી ગયો હતો તે ફરી શરૂ થશે.

No comments:

Post a Comment