October 1, 2011

મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં મોટામાં મોટી લાઈબ્રેરી ઊભી કરેલી. તેને જ હું જ્ઞાનમંદિર કહું છું. મહાન ફ્રેંચ ફિલસૂફ રેને ડેસ્કાર્ટીસ તો કહે છે કે જ્યારે તમે સારાં પુસ્તકો વાંચો છો ત્યારે ભૂતકાળના ઉત્તમ પુરુષો સાથે જાણે વાતો કરવાનો મોકો ઝડપો છો. ભારતના કે જગતના ભવ્ય ભૂતકાળનો આખો આત્મા પુસ્તકોમાં પડેલો છે. એ આત્મા સાથે મિલન થાય છે.

૨૧મી સદીમાં ગમે તેટલી સમૃદ્ધિ આવી હોય, ખૂબ જ કામઢા હો પણ જો વાંચવાની ફુરસદ મેળવીને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ નહીં કરો તો બધી જ લક્ષ્મી ધૂળ બરાબર છે. ડેસ્કાર્ટીસ બચપણથી જ વાંચવામાં એટલા તલ્લીન થઈ જતા કે ધ્યાનસ્થ બની જતા. તેને દિવ્ય અનુભવ થતો. ડેસ્કાર્ટીસ માનતા કે સારાં પુસ્તકોનું વાંચન એ મને પ્રભુ પ્રાર્થના જેવું લાગતું અને મને દિવ્ય સ્ફુરણા થતી.

તેણે જે સૂત્ર કહ્યું છે તે પ્રમાણે તમે રામાયણ વાચતાં હો ત્યારે રામની સાથે કે સીતા સાથે ગોષ્ઠિ કરો છો. મહાભારત કે ગીતા વાચતાં હો ત્યારે કૃષ્ણ સાથે વાત કરતા હો છો. ફ્રેંચ ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી ડેસ્કાર્ટીસનો સ્વિડનની રાણી ક્વીન ક્રિસ્ટીનાએ ટ્યુટર તરીકે રાખેલા અને તેથી જ રાણીએ મહેલમાં જ પુસ્તકાલય વસાવ્યું અને તેણે જ સ્વિડશિ લોકોને વાચતા કર્યા. આ સ્વિડનમાંથી જ આજે દર વર્ષે નોબેલ પ્રાઈઝનું વિતરણ થાય છે.

વાંચનનું મહત્વ મારે સમજાવવું પડે તેટલા દિવ્ય ભાસ્કરના વાચકો વાંચનના લાભથી અજાણ નથી. પરંતુ ૪થી ફેબ્રુઆરીએ સાહિત્યનું બુકર પ્રાઈઝ મેળવનારા લેખક યાન માટેંલ કેટલાક સુંદર ચૂંટેલાં પુસ્તક લઈને બચપણથી તેના જાણીતા મિત્ર કેનેડાના વડાપ્રધાન સ્ટિફન હાર્પર પાસે ગયા. એક મહિના સુધી માથાકૂટ કરીને તેણે વડાપ્રધાનના વાંચન માટે પુસ્તકો પસંદ કરેલાં. ફ્રાંઝ કાફકા, કર્ક ગાર્ડ, રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીનાં પુસ્તકો હતાં. આ વડાપ્રધાનના જન્મદિવસની ભેટ હતી. વડાપ્રધાન કામમાં વ્યસ્ત હતા એટલે સેક્રેટરીએ પુસ્તકો માટે આભાર માન્યો પણ એકેય પુસ્તકને ખોલીને જોયું પણ નહીં. બહુ કામ છે, બહુ કામ છે એમ સતત એ માણસ કહ્યા કર્યું.

તમે ગમે તેટલા મોટા પત્રકાર હો, નરેન્દ્ર મોદી હો કે સોનિયા ગાંધી હો કે ગૌતમ અદાણી કે કિશોર બિયાણી હો તમે ધનપતિ કે સત્તાપતિ થયા એટલે જગતમાંથી નવું જાણવાનું સમાપ્ત થતું નથી. મન અને આત્મા તો સદાય જ્ઞાન માટે ભૂખ્યો છે તેને ખોરાક આપનાર પુસ્તકો છે. ‘વાંચે ગુજરાત’ની ઝુંબેશ કરનારા નરેન્દ્ર મોદી આરએસએસમાં હતા ત્યારે વાંચતા તેટલું હવે ભલે ન વાંચી શકે પણ જો તે નહીં વાંચે તો ગુજરાત ક્યાંથી વાંચશે?

એ સાચું કે આજે દરેક જણ કામઢો છે. પહેલાં ફુરસદ જ ફુરસદ હતી. આજે સમયના પ્રેશરમાં વાંચન માટે સમયે કાઢવો અઘરો છે. પણ જે અઘરું હોય તેને જ સરળ કરવું એ તો માનવનું કામ છે. ગમે તે રીતે સમય ચોરીને વાંચન તો કરવું જ જોઈએ. સાહિત્યનું ઈનામ મેળવનારા સાહિત્યકાર માર્ટલ કહે છે ‘એ સાચું કે આજના જમાનામાં વાંચન માટે સમય કાઢવો મુશ્કેલ છે પણ વાંચનનું મહત્વ એક લીટીમાં સમજાવવું હોય તો કહીશ કે ‘બુકસ રિપ્રેઝેન્ટ એ વિઝન ઓફ ફ્રીડમ.’ પુસ્તકો તમને સ્વાતંત્ર્ય અને મુક્તિનો અનુભવ કરાવે છે. જેલમાં લોકમાન્ય ટિળક, ગાંધીજી, મહાદેવ દેસાઈ એ તમામ વાંચતા-લખતા. અહીં મુક્તિનો વિશાળ અર્થ લેવાનો છે.

તમારા કપરા સંજોગોમાંથી પુસ્તકો મુક્તિ અપાવે છે. તમારી મહત્વાકાંક્ષાઓ ઠુકરાઈ હોય અને હતાશ થઈ ગયા હો તો હતાશામાંથી પુસ્તકો તમને મુક્ત કરે છે. તમે સ્વાતંત્ર્યનો ઈતિહાસ વાચ્યો હોય તો આજે ઇજિપ્તથી માંડીને પાકિસ્તાન કે ભારતમાં સરમુખત્યારો કે સત્તાધીશો સૌપ્રથમ લેખકો અને કવિઓને જેલમાં નાખતા. સાહિત્યકારો અને વિદ્યાગુરુઓ જ નહીં લાઈબ્રેરીઓને પણ તાળાં મારતા. આજે શું થાય છે? આજે જગતભરમાં જ્યાં ડેમોક્રસી છે ત્યાં લોકો વાંચતા નથી તેથી લાઈબ્રેરીઓને તાળાં મરાવા માંડ્યાં છે! બ્રિટન જેવા દેશમાં ૪૫૦ જેટલી લાઈબ્રેરીઓ બંધ કરવાનું સરકાર વિચારે છે. ત્યારે લંડનના સાહિત્યકારો સરકારને શેઈમ શેઈમ કહે છે.

આની સામે વિરોધ કરવા યોર્ક શાયર, લેંકે શાયર, ગ્લોસેસ્ટર શાયર અને એક્સફર્ડ-શાયરની માતાઓ તેની દીકરીઓને આંગળીએ વળગાડીને સત્યાગ્રહ કરવા આખી રાત તેમના ગામની લાઈબ્રેરીઓમાં ગાળવા માંડી હતી. લાઈબ્રેરીમાં જ ટિફિન ખોલીને ખાતી. ઓકસફર્ડ શાયર નામના નાના ગામની લાઈબ્રેરીમાં તો ૧૧ વર્ષની ઉંમરના કુમારો પણ વાંચવા આવતા અને તેમના સભ્ય પિતાને લાઈબ્રેરીમાંથી પંદર પંદર પુસ્તકો ઘરે લઈ જવા મળતા તે પુસ્તકો તેની નોકર બાઈ પણ વાચતી.

લાઈબ્રેરીઓ બંધ થાય છે કે ફંડ વગર ભૂખે મરે છે તે સમસ્યા બ્રિટિશ પાલૉમેન્ટમાં પણ ઉઠાવાય છે. પણ આપણા સાંસદો કે રાજકારણીઓ ભારત કે ગુજરાતમાં પોતે જ વાંચતા નથી કે લાઈબ્રેરીનાં પગથિયાં ચડ્યા નથી તેને લાઈબ્રેરીનું શું મહત્વ હોય? ભાવનગર રાજ્યમાંથી ઘણા કવિઓ અને સાક્ષરો પેદા થયા છે કારણ કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ગામડે ગામડે ૭૫ વર્ષ પહેલાં પંચાયતમાં લાઈબ્રેરી માટે ભંડોળ આપતા.

વાચકોનો સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં સર્વે કર્યો તો જણાયું કે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, સેલફોન અને બીજા કોમ્યુનિકેશનનાં આધુનિક સાધનો પછી જગતભરના લોકો ઓછું વાચે છે. ૧૩ વર્ષની ઉંમરનાં બાળકો ૨૦ વર્ષ પહેલાં ૧૦૦ ટકા વાંચતાં તે આજે ત્રીજા ભાગનાં જ વાચે છે. ૧૫થી ૨૪ વર્ષની ઉંમરના અમેરિકનો સરેરાશ બે કલાક ટીવી જુએ છે અને સરેરાશ માત્ર સાત મિનિટ વાંચે છે. ઈન્ટરનેશનલ રીડિંગ એસોસિયેશનના વડા ટિમોથ શાનાહાને કહ્યું કે આજે માનવીનું એકાંત લૂંટાઈ ગયું છે. એકાંત મળે તો પુસ્તક તેનો સાથીદાર બને. પુસ્તક મિત્ર બને. આજે તો બટન દબાવ્યું ત્યાં ઈન્ટરનેટ ઉપર ફાલતુ મિત્રો મળે છે.

માઈક્રોસોફટના બિલ ગેટ્સ કહે છે કે હું નાનો હતો ત્યારે ઘણાં સપનાં જોતો. એ સપનાં એટલા માટે જોતો કે હું સાત વર્ષની વયથી વાંચતો થયો. તેણે કહ્યું કે રીડર્સ આર લીડર્સ. જે વાંચશે તે જ નેતાગીરી કરશે. કેટલાક ડોક્ટરો, વકીલો કે વેપારી ભણતા ત્યારે નંબર લાવતા નહીં પણ પછી કોલેજ છોડીને વાંચતા થયા ત્યારે ખૂબ આગળ આવ્યા. અમેરિકાની ફૂટબોલ ટીમે સૂત્ર રાખ્યું છે ‘રીડ ટુ એચિવ’ કંઈક પ્રાપ્ત કરવા માટે વાંચો. પાકિસ્તાન આજે પાછળ રહી ગયું છે. હિંસા વધી છે શું કામ? તેનો કોઈ પણ નેતા વાંચતો નથી. પાકિસ્તાનમાં માત્ર ૪૪ ટકા જ લખી વાંચી શકે છે અને પુસ્તકો વાચનારાના આંકડા જ મળતા નથી.

આજે હજીય ફ્રાંસમાં વાંચન ઘટ્યું નથી. પેરિસમાં હું ગયો ત્યારે એક બાગમાં ફરવા ગયો તો બાગના પ્રવેશ દ્વાર પાસે પાંચ-છ જુનાં પુસ્તકોના સ્ટોલ ફૂટપાથ ઉપર હતા. ત્યાં છોકરા કરતાં છોકરીઓની વધુ ગીરદી હતી. પેરિસ આખું વાચક શહેર છે. લંડનમાં ભૌતિક સમૃદ્ધિ છે. ન્યુ યોર્કમાં પણ ભૌતિકતા વધી છે. તેની સરખામણીમાં પેરિસ નાણાંની છાકમછોળ માટે નહીં પણ સાહિત્યકારો અને કવિઓ માટે વધુ પ્રખ્યાત છે અને તેથી બુદ્ધિ-વિચારોની સમૃદ્ધિ ત્યાં વધુ છે. યોગાનુયોગ ૨૦ ફેબ્રુઆરીએ પેરિસના સૌથી મોટા વાચક અને લાઈબ્રેરીમાંથી પ્રેમિકા મેળવનારા ક્રાંતિકારી-સાહિત્યકાર વોલ્તેયરની ૩૧૭મી જન્મતિથિ હમણાં ગઈ. વોલ્તેયર કહે છે કે હું વાંચતો થયો તેથી બળવાખોર થયો. વાંચતો થયો તેથી પ્રેમી બન્યો.

તેના બળવાખોર વિચારો માટે તેના ઉપર વોરંટ નીકળ્યું ત્યારે મેડમ ચેટેલેટ નામની અતિ બુદ્ધિમંત સાહિત્યકારના બંગલામાં સંતાઈ ગયા. મેડમ ચેટેલેટની ઓળખાણ એક લાઈબ્રેરીમાં થઈ હતી અને લાઈબ્રેરીમાંથી જ પ્રેમ થયો. વોલ્તેયર માટે પ્રેમિકાએ કહ્યું કે He taught me to think clearly. આજે માનવીને વિચાર કરવાનો સમય મળે છે? મુંબઈ અમદાવાદના સમૃદ્ધ ગુજરાતીઓને વાંચવાનો કે વિચારવાનો સમય મળે છે? ‘વાંચે ગુજરાત’ની વાત આવે ત્યારે હું ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અલગ પાડું છું. ‘ગુજરાત’ ઓછામાં ઓછું. પછી સૌરાષ્ટ્ર વધુમાં વધુ વાંચે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર સૌથી વધુ વાંચે છે. પણ કચ્છ તેનાથીય વધુ વાંચે છે. કારણ કે સૌરાષ્ટ્ર કચ્છમાં લોકોને વિચારવાનો અને વાંચવાનો સમય મળે છે.

આર્જેન્ટિનાના મહાન સાહિત્યકાર જ્યોર્જ લૂઈ બોર્જિસ બચપણથી જ વાંચી વાંચીને આંખની દ્રષ્ટિ લગભગ ગુમાવી બેઠેલા તો પણ તે પુસ્તકોનો મોહ છોડતા નહીં. ન્યુ યોર્કના એક બુક સ્ટોરમાં ગયા ત્યા આલ્બર્ટો મેનગુએલ નામનો યુવાન નોકરી કરતો હતો. આલ્બર્ટો આ મહાન સાહિત્યકારને પુસ્તકો વાંચી સંભાળવતો. આલ્બર્ટો મેનગુએલ પોતે ય મૂળ આર્જેન્ટિનાનો છે હાલ કેનેડામાં છે. આલ્બર્ટોના પિતા ઈઝરાયલમાં એલચી હતા ત્યારે ત્યાંની લાઈબ્રેરીમાં પડ્યા પાથર્યા રહેતા.

તેને વાંચનનું મહત્વ સમજાતાં તેમણે ‘એ હિસ્ટ્રી ઓફ રીડિંગ’ નામનું પુસ્તક લખ્યું. તેણે કહ્યું છે કે માણસ વાંચતો થાય તો જ નવલકથાકાર થાય. જો તે વાર્તા, લેખ કે નવલકથા વાંચે અને તે બધું તેને બકવાસ લાગે ત્યારે તેને પોતાનું સર્જન-લેખન કરવાનો ઉમંગ-ફોર્સ જાગે છે અને ત્યારે તે પોતે વાર્તાકાર બને છે.

અંતે તો કહી શકાય કે માનવી જન્મે ત્યારથી જ તે વાચક છે. બાળક માતાનો ચહેરો વાંચે છે. ખગોળશાસ્ત્રીઓ આકાશને વાંચે છે. જુગાર રમનારો સામેના જુગારીનો ચહેરાના હાવભાવ વાંચીને દાવ ખેલે છે. ખેડૂત આસમાનને વાંચે છે. જો આમ હોય તો પ્લીઝ હવે પાછા પુસ્તક વાચતાં થાઓ ને?

No comments:

Post a Comment