October 6, 2011

નાણાકીય ભીંસમાં મુકાયેલી રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયાના 48 પાઇલટ છેલ્લા ત્રણ મહિનામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હરીફ એરલાઇન્સમાં જોડાઈ ગયા છે. બજેટ એરલાઇન ઇન્ડિગોએ જ ત્રીજા ભાગના પાઇલટને પોતાનામાં ખેંચી લીધા છે. બાકીના પાઇલટ્સને જેટ એરવેઝ , સ્પાઇસજેટ અને અમુક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાં નોકરી મળી ગઈ છે.

એર ઇન્ડિયાના પાઇલટ્સને કેટલાક સમયથી નિયમિત પગાર નથી મળી રહ્યો. એર ઇન્ડિયા અને ભૂતકાળની ઇન્ડિયન એરલાઇન્સના પાઇલટ્સના પગાર વચ્ચેની અસમાનતા દૂર કરવામાં પણ સરકાર આનાકાની કરી રહી હોવાથી તેઓ હરીફ એરલાઇન્સમાં જોડાઈ રહ્યા છે.

ઇન્ડિગોમાં જવાની તૈયારી કરી રહેલા એર ઇન્ડિયાના એક સિનિયર કમાન્ડરે જણાવ્યું હતું કે , અમને જણાવાયું હતું કે નિયમિત પગાર ચૂકવવામાં આવશે. પરંતુ દર મહિને થોડો પગાર બાકી રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં કોઈ ઉકેલ આવ્યો નથી અને અમે માત્ર વચનો પર ન ટકી શકીએ. '' તેમણે જણાવ્યું હતું કે વધુ ઘણાં રાજીનામાં આવી શકે છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

એર ઇન્ડિયાના ભૂતપૂર્વ કમાન્ડર્સને ઇન્ડિગો રૂ. 22 લાખના બોનસની ઓફર કરે છે. ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસ દ્વારા પ્રમોટ કરાયેલી ઇન્ડિગો આટલાં નાણાં આપવા માટે સક્ષમ છે કારણ કે નાણાકીય વર્ષ 2011 માં એર લાઇને રૂ. 710 કરોડનો નફો નોંધાવ્યો હતો.
આ સિવાય માત્ર સ્પાઇસ જેટે નફો નોંધાવ્યો હતો. ઇન્ડિગો તેના કાફલામાં વિમાનોની સંખ્યા વધારીને વર્ષના અંત સુધીમાં 48 કરશે તથા 2012 સુધીમાં 60 વિમાનનો કાફલો ધરાવશે તેથી તેને પાઇલટ્સની ખાસ જરૂરિયાત છે.

ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે એરલાઇનને એ-ટાઇપ રેટિંગના પાઇલટ્સ માટે 50,000 ડોલરનો ખર્ચ કરવો પડે છે. એ-ટાઇપ રેટિંગ મેળવનાર પાઇલટ્સ ચોક્કસ પ્રકારનાં વિમાનો ઉડાવી શકે છે જેના માટે સામાન્ય રીતે તાલીમની જરૂર પડતી હોય છે.

તેથી એર ઇન્ડિયાના એરબસ એ- 320 વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવતા કમાન્ડરોને પણ જંગી બોનસ આપવાનું પોસાય છે કારણ કે તાલીમ આપવા કરતાં આ ખર્ચ ઓછો પડે છે. ઇન્ડિગોના કાફલામાં મોટા ભાગે એ- 320 વિમાનો સામેલ છે.

ઇન્ડિગોની તંદુરસ્ત નાણાકીય સ્થિતિના કારણે તેની વિસ્તરણ યોજના આગળ વધી શકે છે . રાહુલ ભાટિયાની આ એરલાઇને જૂનમાં એરબસ પ્રકારના 100 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો . છેલ્લે 2005 માં પેરિસ એર શો વખતે 100 વિમાનનો ઓર્ડર અપાયો હતો .

વૃદ્ધિની આક્રમક યોજનાના કારણે તે ભરતી કરી રહી છે . 2011 ના પ્રથમ છ મહિનામાં ઇન્ડિગોએ હરીફ કિંગફિશર એરલાઇન્સમાંથી 35 પાઇલટની ભરતી કરી હતી . એરલાઇને ઇટીને જણાવ્યું હતું કે આવતાં પાંચ વર્ષમાં તેને 700 થી 800 પાઇલટ્સની જરૂર પડશે . જેટ એરવેઝ પણ 100 સિનિયર પાઇલટની ભરતી કરશે જ્યારે સ્પાઇસ જેટને 400 પાઇલટની જરૂર છે.

No comments:

Post a Comment