August 18, 2011

ઇશ્વર પર શ્રદ્ધા રાખવી કે નહીં એ જાતે નક્કી કરવાની આપણને છુટ છે. તો શું એ ‘આઝાદી’ને લીધે આપણે દુ:ખી છીએ?

દોસ્તોયેવસ્કીની કૃતિ: ધ બ્રધર્સ કારામાઝોવ
માનવવિષાદયોગ: ભાગ - ૬

‘‘‘
ભાઈ વાતે વળગ્યા છે. ખાસ તો, ગૂઢ જણાતો મોટો ભાઈ ઇવાન જિંદગીમાં પહેલી વાર નાના ભાઈ અલ્યોશાને પોતાની ‘અસલી ઓળખાણ’ આપી રહ્યો છે અને પોતાના સ્ફોટક વિચારો અલ્યોશાને કહી રહ્યો છે. વાતવાતમાં ઇવાન પોતે રચેલી એક કાલ્પનિક કથા અલ્યોશાને સંભળાવે છે. કથા એવી છે કે એ (જિસસ) સોળમી સદીમાં સ્પેનમાં સદેહે પ્રગટ થાય છે, પણ ત્યાંના સૌથી વગદાર મહાગુરુ એમને કેદ કરે છે.

પછી રાત્રિના અંધકાર અને એકાંતમાં મહાગુરુ કોટડીમાં આવે છે અને એમને ચોખ્ખું કહી દે છે કે પૃથ્વી પર હવે તમારી (ઇશ્વરની) નહીં, અમારી (ગુરુઓની) જ જરૂર છે. મહાગુરુને એમની સામે સૌથી મોટો વાંધો એ છે કે એમણે ઇશ્વરના અસ્તિત્વની સ્પષ્ટ સાબિતી આપવાને બદલે ગોળગોળ વાતો કહીને માણસને ભારે દુ:ખી કર્યો છે. ખાસ તો, ઇશ્વર પર શ્રદ્ધા રાખવી કે નહીં એ જાતે જ નક્કી કરવાની માણસને ‘આઝાદી’ આપીને એમણે કેટલી મોટી ભૂલ કરી છે એ વિશે મહાગુરુ ઉત્તેજનાભેર બોલી રહ્યા છે...

‘તમે જેને ‘આઝાદી’ કહો છો એ વાસ્તવમાં બોજ છે. તમારી આપેલી આઝાદીને લીધે માણસ બિચારો ધૂંધવાઈ રહ્યો છે. આવી જ છે માણસની જાત: બેચેન, ગુંચવાયેલી અને દુ:ખી. એને ઉદ્ધારક જોઈએ. પણ તમે એનો ઉદ્ધાર ન કર્યો. તમે બહુ બહુ તો થોડા સબળા લોકોનો જ ઉદ્ધાર કરી શક્યા. તમારા એ સાચા અનુયાયીઓ ભલભલી અગવડો અને મુશ્કેલીઓનો મુકાબલો કરી શકે તેથી શું થયું? એ જે કરી શકે એ બધું બાકીના કરોડો લોકો ન કરી શકે એમાં એ બિચારાઓનો શો વાંક? શું ખરેખર તમે થોડાક જ લોકોનો ઉદ્ધાર કરવા આ પૃથ્વી પર આવેલા? તમારું આ રહસ્ય અમને સમજાતું નથી.

છતાં, અમને હક છે લોકોને ઉપદેશ આપવાનો. એટલે લોકોને અમે એવો ઉપદેશ આપીએ છીએ કે સવાલ ઉઠાવ્યા વિના રહસ્યનો સ્વીકાર કરો અને આંધળી ભક્તિ કરો. તો, એમ વાત છે. તમારી ભૂલ અમે સુધારી રહ્યા છીએ. અમે ચમત્કાર, રહસ્ય અને સત્તાના પાયા પર (ધર્મની) ઇમારત ચણી છે. આ કામ તમારા વતી, તમારા નામે અમે કરી રહ્યા છીએ. તો પછી હવે તમે શા માટે આવ્યા છો, અમારા કામમાં અડચણ પેદા કરવા? અને આમ સૌમ્ય નજરે મારી સામે ટગરટગર જોઈ શું રહ્યા છો? ગુસ્સો કરો મારા પર. મારે નથી જોઈતો તમારો પ્રેમ, કારણ કે હું પોતે જ તમને પ્રેમ નથી કરતો.

જુઓ, મને બરાબર ખબર છે કે તમે કોણ છો. મને એ પણ ખબર છે કે મારે જે કહેવું છે એ બધું જ તમે જાણો છો. છતાં, આ બધું તમે મારા મોંઢે સાંભળવા માગો છો. તો ઠીક છે, સાંભળી લો. અમે (ગુરુઓ) તમારી સાથે નથી. અમે તેની (શાણા શેતાનની) સાથે છીએ. આ છે અમારું રહસ્ય. અમે સદીઓથી શાણા શેતાનની સાથે છીએ.

શાણા શેતાન પાસેથી અમે રોમ અને સીઝરની તલવાર સ્વીકારી લીધી છે (શેતાને તમને પણ એ સત્તા સ્વીકારવા કહેલું, પણ તમે ના પાડી દીધેલી). અમે જ પૃથ્વી પરના એકમાત્ર શાસક છીએ એવું અમે જાહેર કરી દીધું છે. જો કે સમગ્ર પૃથ્વી પર ધર્મસત્તા સ્થાપવાનું અમારું આ કામ હજુ તો શરૂ થઈ રહ્યું છે. એને પૂરું થતાં વાર લાગશે. એ કામ પૂરું થશે ત્યાં સુધી માનવજાત ઘણી દુ:ખી થશે.

‘સરવાળે, માણસને પેટ ભરવા રોટી જોઈએ, જેના ચરણોમાં અંતરાત્માનો બોજ, મૂંઝવણ ધરી શકાય એવું કશુંક (ઇશ્વર) જોઈએ અને આ બે ઉપરાંત, માણસમાત્રને ત્રીજી પણ એક ચીજ જોઈએ. એ છે વૈશ્વિક એકતા. આ એકતા ત્યારે જ શક્ય છે જ્યારે સમગ્ર માનવજાત એક સત્તા હેઠળ જીવતી હોય. પેલા તૈમુર લંગ અને ચંગીઝ ખાન આખી પૃથ્વી જીતવા વાવાઝોડાની જેમ ફરી વળ્યા, પણ તેમને પોતાને કદાચ એ વાતની ખબર નહીં હોય કે છેવટે તો તેઓ વૈશ્વિક એકત્વની માણસની છુપી પ્યાસને બૂઝાવવા જ મથી રહ્યા હતા. શાણા શેતાનની વાત માનીને તમે આખી પૃથ્વીની સત્તા સંભાળી લીધી હોત તો આજે માનવજાત શાંતિથી જીવતી હોત.

‘હવે થશે એવું કે આઝાદી, મુક્ત વિચારો અને વિજ્ઞાનને લીધે ભારે અંધાધૂંધી સર્જાશે. આવામાં, જે લોકો શક્તિશાળી તેમ જ વિદ્રોહી હશે તેઓ આપસમાં એકમેકને ખતમ કરશે. બીજી તરફ, જે લોકો શક્તિશાળી નથી છતાં વિદ્રોહી છે એવા લોકો પોતે જ પોતાની જાતને ખતમ કરશે. અને ત્રીજી તરફ ઢીલાં-ગરીબડાં લોકોની બહુમતી અમારા ચરણોમાં ઢળી પડશે અને કહેેશે: ‘અમને બચાવો’. પછી અમે એમને રોટી આપીશું.

અમારા હાથેથી રોટી સ્વીકારતી વખતે એમને બરાબર ખબર હશે કે અસલમાં તો એમણે જ એ રોટી એમના પોતાના હાથો વડે પેદા કરી હતી અને અમે જ એમની પાસેથી એ રોટી મેળવી હતી. એ જાણતા હશે કે અમે કંઈ પથ્થરમાંથી રોટી બનાવવાનો ચમત્કાર નથી કરતા. છતાં, પોતાની જ એ રોટી તેઓ અમારા હાથે મેળવીને બહુ રાજી થશે. એમને રોટી મળ્યા કરતાં વધુ આનંદ એ વાતનો થશે કે અમારા હાથે એમને રોટી મળી, કારણ કે એમને બરાબર યાદ હશે કે જ્યારે રોટીનું વિતરણ અમારા (ધર્મસત્તાના) હાથમાં નહોતું ત્યારે રોટી જાણે પથ્થર બની જતી (તેઓ રોટી ખાતર આપસમાં લડી મરતાં), પણ એ જ પથ્થર બનેલી રોટી અમારા હાથમાં ફરી રોટી બની રહેતી જોઈને એમને આનંદ થશે.

તેઓ સ્વીકારશે કે અમારા સમક્ષ ઝૂકવા જેવું કોઈ સુખ નથી. આ રીતે, લોકોને અમે નમ્ર બનાવીશું. તમે લોકોને (જાતે નિર્ણય લેવાની છુટ આપીને) ઘમંડી બનાવી દીધેલા, પણ અમે એમને સાબિત કરી આપીશું કે સરેરાશ માનવજાત તુચ્છ, નબળાં બાળકોથી વિશેષ કશું જ નથી. તેઓ અમારાથી થરથર કાંપશે અને અમારા એક જ ઇશારે તેઓ રાજીરાજી થઈને નાચવા-ગાવા લાગશે. અને હા, અમે એમને પાપની પણ છુટ આપીશું, કારણ કે અમે એમને ચાહીએ છીએ.

અલબત્ત, પાપ માટે અમે એવી શરત રાખીશું કે જે કંઈ કરો એ અમારી જાણ અને પરવાનગી સાથે કરો. લોકો અમારી સમક્ષ પોતાની ગુપ્તતમ વાતો કબૂલશે (કન્ફેશન કરશે). અમારી સમક્ષ પાપ વર્ણવીને તેઓ હળવાશ અનુભવશે. એમના પાપ બદલ એમના વતી અમે તમને જવાબ આપીશું. એમના એ પાપની સજા ભોગવવા અમે તૈયાર રહીશું. પરિણામે લોકો અમને તેમના સાચા ઉદ્ધારક ગણશે. લોકો સુખની જિંદગી જીવશે અને તમારું નામ રટતાં રટતાં મરશે.

જો કે કબરમાં દટાયા પછી એમને ખબર પડશે કે મોત પછી મોત સિવાય બીજું કશું નથી. છતાં, અમે એમને અમરત્વ અને સ્વર્ગીય આનંદનું ગાજર દેખાડીશું. કારણ કે અમે જાણીએ છીએ કે મૃત્યુ પછી સ્વર્ગ મળતું હોય તો પણ એ સ્વર્ગ આ બધા સામાન્ય માણસો માટે નથી. છતાં, અમે લોકોને રાજી રાખવા સ્વર્ગનું પ્રલોભન આપીશું. લોકોને પાપની છુટ આપવા બદલ અમે ટટ્ટાર છાતીએ તમારી સામે ઊભા રહીશું અને કહીશું: ‘જો તોળી શકો, જો તમારામાં તાકાત હોય તો તોળો અમારો ન્યાય.’ એક વાત જાણી લો કે હું તમારાથી ડરતો નથી. એ પણ જાણી લો કે તમારા પેલા સાચા અનુયાયીઓની જેમ હું પણ રણમાં ભટકયો છું અને કંદમૂળ અને તીડ ખાઈને ટકયો છું.

હું પણ તમારા એ સાચા અનુયાયીઓમાં ભળવા માટે તૈયાર થઈ ગયેલો. પણ છેવટે મારામાં અક્કલ પ્રગટી. એટલે પછી હું મૂર્ખામીનો માર્ગ છોડીને એ લોકોની સાથે જોડાઈ ગયો જે તમારી ભૂલને સુધારવાનું કામ કરી રહ્યા હતા. હું તમારા સાચા અનુયાયી એવા ઊંચેરા લોકોને છોડીને ગરીબડાં લોકો પાસે પહોંચ્યો, એમને સુખી કરવા. તો, એક વાત બરાબર જાણી લો કે પૃથ્વી પર છેવટે તો અમારું જ રાજ સ્થપાવાનું છે. હું ફરી કહું છું, કાલે સવારે મારા આજ્ઞાંકિત લોકો મારા એક જ ઇશારે, તમને બાળવા માટે કોલસો ઉલેચવા લાગશે. અમારી આગ માટે ખરેખર કોઈ જો લાયક હોય તો એ તમે જ છો, કારણ કે તમે અમારા કામમાં આડા આવો છો. મારી વાત અહીં પૂરી થાય છે.’ઇવાન અહીં અટક્યો...

No comments:

Post a Comment