June 23, 2012

એક અનોખી પ્રતિભા - ડો. શૈલેશ ઠાકર

માણસ પાસે જ્ઞાન, ધન, સદગુણ બધું જ હોય, પણ જો તે નમ્ર ના હોય તો, બધું જ વ્યર્થ છે. બીજાને મદદ કરતી વખતે પણ લોકોના વિવિધ દ્રષ્ટિકોણ હોય છે. કોઈ અહંકાર સાથે મદદ કરતા હોય છે તો કોઈ દયા ખાઈને, તો કોઈ સ્વાર્થ પ્રેરિત, તો કોઈ ઉદાસીન વૃતિથી, તો કોઈ મજબુરીથી, તો કોઈ ખોટી ટેવના કારણે મદદ કરતા હોય છે. કોઈ માંગવા પછી તો કોઈ માગ્યા વગર તો કોઈ નમ્રતાથી અને વળી ના છુટકે અને બીજાના કહેવાથી મદદ કરતા હોય છે. કેટલાક સામાજિક જવાબદારી સમજીને અને થોડા પુણ્યકાર્ય સમજીને મદદ કરે છે. 

આવી જ એક પ્રતિભાની હું આજે વાત કરવા માગું છું અને તે છે મેનેજમેન્ટના શ્રેષ્ઠ પાઠ ભણાવનાર શ્રી શૈલેશભાઈ ઠાકર કે જેમના વિચારો આજે વિશ્વભરમાં ફેલાયેલા છે. કોઈ પણ હોય, બાળક, યુવાન કે વૃદ્ધ દરેક માણસોને આજે જીવનમાં આગળ વધવા માટે થોડું મેનેજમેન્ટનું જ્ઞાન હોવું જરૂરી છે તે પછી સ્કુલે જવા માટેની તૈયારી, યુવાનીમાં આગળ વધવા માટેનું જોમ કે પછી જીવન જીવવાની કળા. દરેક માણસો આ વિષયથી ટેવાયેલા હોય જ છે. 

શૈલેશભાઈની સફર ચાલુ થઇ તેમના અથાગ પ્રયત્નોથી. લોકોના નકારો સંભાળવાની ટેવ આજે તેમને આ પ્રસિદ્ધિ સુધી પહોચાડ્યા છે. થોડા વર્ષો પહેલા જયારે હું શૈલેશભાઈને મળ્યો ત્યારે મારા મગજમાં તેમના વિશે બહુ ખબર ના હતી. પણ જેમ જેમ હું એમની નજીક જઈને તેમને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે પછી એમ થયું કે બહુ જ ઓછા લોકો આ સફળતાને પચાવી શકે છે. મેનેજમેન્ટના ગુરુ હોવું એ અભૂતપૂર્વક સન્માન છે અને સૌથી મોટી વાત તો એ કે એમને આ સન્માનથી કોઈ જ અભિમાન નથી. 

એકદમ નિખાલસ, રમુજી અને મળતાવડા સ્વભાવવાળા આ ઠાકર સાહેબને જો કોઈ કંપની એમ કહે કે સાહેબ અમારા સ્ટાફ માટે પ્રોગ્રામ કરવો છે તો ઠાકર સાહેબ માત્ર એટલું જ કહે કે "તારીખ આપો, તમારો પ્રોગ્રામ થઇ ગયો સમજો". ના પૈસાનું પૂછે, ના કેટલા માણસો છે તેનું, ક્યાં પ્રોગ્રામ કરવો છે તે પણ તેમના માટે કશું જ મહત્વ નથી. એમને માટે એમના સંબંધો જ મહત્વના છે અને ત્યારે જ આજે કોઈ પણ મોટા મોટા મેનેજમેન્ટના ગુરુઓ તેમની સાથે કામ કરવા તૈયાર છે જેમ કે ટોમ પીટર, ચાર્લ્સ સેવેજ, જી નારાયણ... લીસ્ટ ઘણું લાંબુ છે મિત્રો.

પોતાના માટે માત્ર એક જોડી કપડા, બુટ, ઘડિયાળ અને એક મોબાઈલ સાથે રાખનારા ઠાકર સાહેબ તેની ૮૦% સફળતાનો ધ્યેય એમને પત્નીને આપે છે. રમૂજમાં એમનું કહેવું છે કે જો મારી પત્નીએ મને લખવાનું કે ટ્રેનીંગ આપવાની છૂટ ના આપી હોત તો આજે મારું આ નામ ના થયું હોત. 

સાથે બેસીને કોફી પીવાની એમની ટેવ અને સાથે બીજા કરતા અલગ વિચારો કરવાની આદત આજે તેમની પ્રસિદ્ધિની એક ઝલક બની ગયી છે. હમેશા પોતાના ઘરના એક ખૂણામાં બેસીને વેબસાઈટ ઉપર ચેટ કે બ્લોગ લખવામાં વ્યસ્ત એવા ઠાકર સાહેબને જો કોઈ વ્યક્તિ ફોન કરે તો એમનો જવાબ એટલો જ આસાનીથી આપે જેટલો સામેવાળો માણસ વાત કરતો હોય. આ તેમની એક લાક્ષણિકતા છે.

એપોઇન્ત્મેન્ત વગર જ ઠાકર સાહેબ બધાને મળે છે અને તેમને આ રીતે મળવું પસંદ છે. હમેશા પોતાના વચનને આધીન માનનારા લોકોમાં આજે તે ઓળખાય છે. તેમના માટે તેમનું કામ એટલું જ મહત્વનું છે જેટલું બીજા માટે એમનું કામ. લોકો માટે, લોકો સાથે અને લોકોના કામ માટે તેમનું જીવન સમર્પિત છે. 

No comments:

Post a Comment