March 23, 2012

વિકસતા ગુજરાતના ઉદ્યોગોની કડવી વાસ્તવિક્તા પણ જાણો

ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં એશિયાની મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત અને રાજ્યના ગ્રોથ એન્જિન ગણાતા અંકલેશ્વર-પાનોલી ક્રિટિકલ ઝોનમાંથી પસાર થઇ રહી હોવા સાથે છેલ્લા પાંચ વર્ષથી સરકારની એન.ઓ.સી. મળતી ન હોવાથી મોંઘવારી તેમજ સતત ભાવ વધારા વચ્ચે સરકારી બંધનોની અનેક ભીંસથી ઉદ્યોગોનું ઉત્પાદન છેલ્લા ત્રણ વર્ષથી અડધું થઇ ગયું છે.

અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતો હાલ સંઘર્ષમય સમયમાંથી ગુજરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ક્રિટિકલ ઝોનની સમસ્યા સામે ઝઝુમતી બન્ને વસાહતોમાં નવા ઉદ્યોગો સ્થાપવા કે વિસ્તૃતિકરણ માટે સરકાર તરફથી એન.ઓ.સી. આપવામાં આવતું નહીં હોવાથી ઉદ્યોગગૃહની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે.

ઉદ્યોગો માટે પ્રતિકુળ પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગકારોને તેમની ઉત્પાદન પ્રક્રિયાનો દર ૧૦૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા ઉપર લાવી દેવાની ફરજ પડી છે. વિશ્વમાં મંદીનો માહોલ, ડોલર સામે રૂપિયાની ઘટતી જતી કિંમતો તેમજ ક્રૂડ ઓઇલના કૂદકે ને ભૂસકે વધતા જતા ભાવો સતત મોંઘવારી વધારી રહ્યાં છે.

ઉદ્યોગોને પણ ગેસ, વીજળી, પાણી અને કામદારોનો વેતન વધારો સહિતમાં ભાવ વધારો સતત કનડગત કરી રહ્યો હોવાથી તેઓ તેમના અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. બિનકુશળ કામદારોના પગારમાં બે ગણો વધારો, વીજ ભાવમાં ૩૦ ટકા વધારો, ગેસમાં બે ગણા વધારાનાં ખર્ચને કારણે ઉત્પાદન સતત મોંઘુ થઇ રહ્યું હોવાથી અંતે ઉત્પાદન ઘટાડવાની નોબત ઉભી થઇ છે.

મોંઘવારી, ભાવ વધારો, વૈશ્વિક હરિફાઇ, અનેક સરકારી બંધનો અને ઉપરથી ક્રિટિકલ ઝોનની સમસ્યામાં ઉદ્યોગો કઇ રીતે ધમધમતા રાખવા તે અંગે અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો મુઝવણ અનુભવી રહ્યાં છે.

- દર વર્ષે બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીમાં થતો ૨ ટકાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિવર્ષ રજૂ કરાતા સામાન્ય બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીમાં ૨ ટકાનો વધારો કરવામાં આવતા ઉદ્યોગોને પડતા ઉપર પાટુ પડી રહ્યું છે. વર્ષ ૨૦૧૦ના બજેટમાં એક્સાઇઝ ડ્યૂટી ૮ ટકા હતી જે વર્ષ ૨૦૧૧માં ૧૦ ટકા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨માં એક્સાઇઝ ડ્યૂટી ૧૨ ટકા થઇ ગઇ છે.

- ૪ વર્ષમાં ઉદ્યોગો માટે યુનિટ દીઠ ગેસ ૨૬ રૂપિયા મોંઘો થયો

ઔદ્યોગિક વસાહતોમાં વપરાતા ગેસ પુરવઠા ઉપર પણ સતત એકધારો વધારો કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં ઉદ્યોગો માટે યુનિટ દીઠ ગેસનો ભાવ ૯ રૂપિયા હતો જે વર્ષ ૨૦૧૨માં ૩૫ રૂપિયા થઇ ગયો છે. જેની સીધી અસર ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ ઉપર પડી રહી છે.

- ૭ વર્ષમાં બિનકુશળ કામદારોના વેતનમાં ૮૩.૩૦ રૂપિયાનો વધારો

સતત વધતી મોંઘવારી અને વેતન વૃદ્ધિ ઉદ્યોગોને પણ નડી રહી છે. વર્ષ ૨૦૦૫માં બિનકુશળ કામદારોનો રોજીંદો પગાર ૮૭.૬૦ રૂપિયા હતો. જે વધીને ૨૦૦૭-૦૮માં ૯૮.૬૦ રૂપિયા થયો હતો. હાલ ૨૦૧૨માં આ કામદારોનો પગાર વધારો ૧૭૦.૯૦ રૂપિયા થઇ ગયો છે. વળી, કુશળ-અનુભવી કામદારોનો પગાર બમણો અને ત્રણ ગણો થઇ જતા ઉદ્યોગો ઉપર આર્થિક ભારણ સતત વધી રહ્યું છે.

- ઉદ્યોગો ઉપર વીજદરમાં પ્રતિવર્ષ ૩૦ પૈસા યુનિટ દીઠ વધારો

ઔદ્યોગિક વીજ વપરાશકારો માટે પ્રતિવર્ષ વીજળીના યુનિટ દીઠ ભાવમાં ૧૫ થી ૩૦ પૈસાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૦૯માં ૧૦ એચ.પી. પર યુનિટ દીઠ ૩.૬૦ રૂપિયા હતા. જ્યારે ૪૦ એચ.પી. પર ૩.૮૫ રૂપિયા હતા. હાલ ૨૦૧૨માં ૧૦ એચ.પી. પર ૩.૯૦ અને ૪૦ એચ.પી. પર યુનિટ દીઠ ૪.૨૦ રૂપિયા વીજદર થઇ ગયો છે.

- ૫૦ ટકા ઉત્પાદને પણ વાર્ષિક ટનઓવર ૩૦ હજાર કરોડ

અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહત ઉપર પ્રદૂષણને પગલે લાગેલા નિયંત્રણોને પગલે ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો છે. બીજી તરફ તમામ ક્ષેત્રમાં વધી રહેલા ભાવો અને મોંઘવારીનો માર ઉદ્યોગો પણ સહન કરી રહ્યા હોવા સાથે સંઘર્ષભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. માત્ર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત હાલ ૫૦ ટકા ઉત્પાદન કરતું હોવા છતાં અડધા ઉત્પાદને પણ ૩૦ હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર છે. જો ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળે તો વિકાસ અને વિસ્તૃતિકરણની ક્ષિતિજો ખુલી જતા વાર્ષિક ટર્નઓવર ૭૦ થી ૭૫ હજાર કરોડ થઇ શકે અમે છે. સાથે જ રોજગારીની તકો પણ ઉજવળ બની શકે છે.

Source: Divya Bhaskar

No comments:

Post a Comment