October 1, 2011

સમજણપૂર્વક થયેલો પરિશ્રમ જ લક્ષ્ય સુધી પહોંચાડે છે. લક્ષ્ય બદલતાં રહીને આપણે દોડી તો શકીએ છીએ, પરંતુ ક્યાંય પહોંચી નથી શકતા.

અરવલ્લીના પહાડ વચ્ચે એક સુંદર ગામ હતું. ત્યાં એક વિદ્વાન શિક્ષક રહેતા હતા. વિદ્યાર્થીઓ દૂરદૂરથી એમની પાસે ભણવા આવતા. ભણતર પૂરું થયા પછી ગુરુએ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે આ ગામ માટે કૂવો ખોદી કાઢો. ગુરુભક્ત વિદ્યાર્થીઓ તરત જ ઉત્સાહપૂર્વક કૂવો ખોદવા માંડ્યા. જમીન ઘણી સખત અને પથરીલી હતી, એટલે થોડું ખોદકામ કરતાં જ તેઓ થાકી ગયા.

બધાએ નક્કી કર્યું કે આ કૂવામાંથી પાણી નીકળે એમ નથી એટલે બીજો કૂવો ખોદીએ. પહેલો કૂવો અધૂરો રાખીને તેઓ બીજો કૂવો ખોદવા લાગ્યા. એમાંથી પણ પાણી ન નીકળતાં તેમણે ત્રીજો કૂવો ખોધો. આમ, તેઓ સ્થળ બદલતાં રહીને એક પછી એક કૂવો ખોદતા ગયા, પણ પાણી તો ન જ નીકળ્યું. આ વિદ્યાર્થીઓમાં એક એવો હતો જેણે કયા સ્થળે કૂવો ખોદવો એ નક્કી કરવામાં પૂરતો સમય લીધો અને પછી એકલો જ એ સ્થળે સતત ખોદતો રહ્યો.

છેવટે તે કૂવામાંથી એક દિવસ પાણી નીકળ્યુ. એણે ફક્ત એક જ કૂવો ખોદેલો, પણ તે આખો હતો. બીજા વિદ્યાર્થીઓ સો કૂવા ખોદી ચૂકેલા, પણ બધા અધૂરા હતા. ગુરુએ પેલા શિષ્યને કહ્યું: વત્સ, તારું શિક્ષણ પૂરું થયું છે... તું ઘરે જઈ શકે છે!

No comments:

Post a Comment